દેશમાં અનેક જગ્યાએ નાગરિકતા સંશોધન બિલનો વિરોધ થઈ રહ્યો છે, તો તેની સામે ભાજપ પણ દેશભરમાં સીએએના સમર્થનમાં કાર્યક્રમો આપી રહ્યું છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોકમાં સીએએના સમર્થનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ કાર્યક્રમાં ઉપસ્થિત રહ્યા છે. તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, કુંવરજી બાવળિયા સહિતના નેતાઓ પણ જોડાયા છે.
તો સાથે ભાજપના હજારો કાર્યકરો અને સ્થાનિકો મોટી સંખ્યામાં આ તિરંગાયાત્રામાં જોડાયા છે. બિ કિલોમીટર લાંબા તિરંગાએ આકર્ષણ જમાવ્યું છે. સીએમ રૂપાણીએ વિરોધીઓને આડે હાથે લઈ આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ટુકડે ટુકડે ગેંગ દેશને નબળો પાડી રહી છે. દેશને નબળો પાડવા માગતા લોકો સીએએનો વિરોધ કરે છે. બંધારણની વાતો કરનારા લોકો કાશ્મીરમાં બંધારણનો અમલ કરાવી ન શક્યા. કાશ્મીરમાંથી 370 હટાવવા પીએમ મોદી અને અમિત શાહે વચન આપ્યું હતું. મોદી સરકારે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કર્યા. ભૂતકાળની સરકારે સમસ્યાઓ ઉકેલવા કોઈ પ્રયાસો કર્યા ન હતા.