નવી દિલ્હી
દિલ્હી વિધાનસભા ચૂંટણીના ચાર દિવસ પૂર્વે કોંગ્રેસને જોરદાર ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસના નેતા જનાર્દન દ્વિવેદીના પુત્ર સમીર મંગળવારે ભાજપમાં જોડાયા છે. ઓગસ્ટમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી ત્યારે જનાર્દન દ્વિવેદીએ મોદી સરકારના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મારા રાજકીય ગુરૂ રામ મનોહર લોહિયાજી હંમેશા આના (કલમ 370 લાગુ કરવાના) વિરોધી હતા.
ભાજપનો કેસરિયો ખેસ પહેર્યા બાદ સમીર દ્વિવેદીએ જણાવ્યું કે, ‘હું પ્રથમ વખત કોઈ પાર્ટી સાથે જોડાઈ રહ્યો છું અને મે ભાજપને પસંદ કરી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામોથી પ્રભાવિત થયો છું.’
પુત્ર ભાજપમાં જોડાયા હોવા અંગે પૂછતા જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું કે મને આ અંગે કોઈ માહિતી નથી. જો તેઓ કોઈ પક્ષમાં જોડાઈ રહ્યા છે તો તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. અગાઉ જનાર્દન દ્વિવેદી એક ધાર્મિક કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવત સાથે એક મંચ પર જોવા મળ્યા હતા.