વડોદરા: છેલ્લા 9 માસથી વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પુરતા પ્રેશર અને શુદ્ધ પાણી પૂરું પાડવામાં પાલિકા ધરાર નિષ્ફળ પુરવાર થયઇ છે, ત્યારે પૂર્વ વિસ્તારના કોંગ્રેસના કાઉન્સિલરની આગેવાનીમાં સ્થાનિક લોકો વહેલી સવારે આજવા પાણીની ટાંકી ઉપર જઇ સામૂહિક સ્નાન કર્યું હતું. સ્નાન કર્યા બાદ લોકોએ પાલિકા વિરૂદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યાં હતા.
અધિકારીઓના અણઘડ વહીવટને કારણે લોકોને પુરતુ પાણી મળતુ નથી
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં સારો વરસાદ થયો હોવા છતાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની અણઆવડત અને આયોજનના અભાવે વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના રહીશોને છેલ્લા 8 માસ ઉપરાંતથી પુરતા પ્રેશરથી અને ચોખ્ખું પાણી મળતું નથી. સત્તાધિશો દ્વારા નિમેટા ખાતે કામગીરી ચાલુ હોવાના બહાના બતાવી રહ્યા છે. પરંતુવાસ્તવિકતા એ છે કે, પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટ તંત્રમાં ફરજ બજાવતા અણઘડ અધિકારીઓ અને કર્મચારીઓના આયોજનના અભાવને કારણે લોકોને પાણી મળી રહ્યું નથી.
પાણી મુદ્દે કાઉન્સિરની ઉગ્ર આંદોલનન ચીમકી
પૂર્વ અને દક્ષિણ વિસ્તારના લોકોને પુરતા પ્રેશરથી અને ચોખ્ખુ પાણી આપવા બાબતે અનેક વખત વોર્ડ નં-4ના કોંગ્રેસના કાઉન્સિલર અનિલ પરમાર દ્વારા સત્તાવાળાઓને રજૂઆતો કરવામાં આવી છે. સામાન્ય સભામાં પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પાણીનો પ્રશ્ન હલ ન થતાં આજે તેઓ અને સ્થાનિક લોકો સવારે આજવા ટાંકી ઉપર પહોંચી ગયા હતા. અને જાહેરમાં સ્નાન કર્યું હતું. સ્નાન કર્યાં બાદ કાઉન્સિલર અને લોકોએ પાલિકા વિરૂદ્ધ પાણીના પોકારો સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. કાઉન્સિલર અનિલ પરમારે જણાવ્યું હતું કે, આજના કાર્યક્રમ પછી પણ પાણીનો પ્રશ્ન હલ નહિં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
પાઇપ લાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. બીજી બાજુ આજવા ટાંકી પાસે જ છેલ્લા એક સપ્તાહથી પાણીની લાઇનમાં ભંગાણ પડી પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. પરંતુ આંખે પાટા બાંધીને ફરજ બજાવી રહેલા પાલિકાના અધિકારીઓ દ્વારા પાણીનું લીકેજ બંધ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા પાણી ગટરમાં વહી રહ્યું છે. પાણી લીકેજના કારણે પસાર થતાં વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.
પાણી માટે અધિકારીઓ કાઉન્સિલર્સને પણ ગાંઠતા નથી
પાલિકાની પુરતા પ્રેશરથી અને ચોખ્ખુ પાણી આપવાની ફરજ છે. જો પાણી ન આપે તો કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની ટેન્કર દ્વારા પણ પાણી આપવાની ફરજ બને છે. લોકો પાણી પુરવઠા વિભાગમાં પાણીની ટેન્કરની માંગણી કરે છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જિનિયર યોગેશ વસાવા અને હિતેષ ચૌધરી જેવા અધિકારીઓ લોકોને ફાયર બ્રિગેડમાં પૈસા ભરીને પાણી લઇ લો અથવા સોસાયટીમાં બોર કરાવી લો. તેવી સુફીયાણી સલાહો આપી રહ્યા છે. એ તો ઠીક યોગેશ વસાવા જેવા અધિકારીઓ ભાજપાના કાઉન્સિલરો પાણીની ટેન્કર માટે ભલામણો કરે છે, ત્યારે પાલિકા પુરતા પ્રેશરથી પાણી આપી રહ્યું છે. લોકોને પાણી મળતું નથી. તેવી ખોટી ફરિયાદો કરી રહ્યા છે. તેવા જવાબો આપીને કાઉન્સિલરોને પણ ઉઠાં ભણાવી રહ્યા છે.