- દુકાનો દબાણમાં ન આવતી તેમજ કોઈ ગંદકી કરતી ન હોવા છતાં સીલ મારી દેવાતા રોષ
- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે
- મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં તાત્કાલિક રોડ રસ્તા ચકાચક કરી દીધા છે
અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે, જેને લઈને એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને આજે વહેલી સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકાએક સીલ મારી દીધી છે.
અધિકારીની સહી વગર જ દુકાનો પર નોટિસ મારી દેવાઈ
એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને મ્યુનિ. હેલ્થ વિભાગે વગર કારણે સીલ મારી દીધી છે. દુકાન પર ચેતવણી નું બોર્ડ મારી લખી દેવામાં આવ્યું છે કે હેલ્થ વિભાગ ઉત્તર ઝોન દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. વગર મંજૂરીએ આ સીલ ખોલવા કે ચેડાં કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં બાય ઓર્ડરમાં કોઈપણ અધિકારીની સહી નથી. એરપોર્ટ સર્કલ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાતા લોકોમાં ફરી રોષ ફેલાયો છે. દુકાનો દબાણમાં ન આવતી તેમજ કોઈ ગંદકી કરતી ન હોવા છતાં પણ સીલ મારી દેતા AMC ની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.