સુરતઃ સરથાણા ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવચંડી મહાયજ્ઞનું 1લી માર્ચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહાયજ્ઞ આયોજન અંગે જણાવતા મુખ્ય કન્વીનર કે. કે. કથીરિયાએ જણાવ્યું હતું કે, સુરતમાં રહેતા તમામ લેઉવા પટેલ સમાજના લોકો સુધી આ સંદેશો પહોંચાડવા માટેનો અમારો પ્રયાસ છે. કાર્યક્રમ પહેલા એક લાખ પરિવારોમાં ડોર ટુ ડોર પત્રિકા પહોંચાડવામાં આવશે. પત્રિકાના રૂપમાં દરેક પરિવારને આમંત્રિત કરાશે. દરેક પરિવારના ઘરે જઈ 1 મુઠ્ઠી ઘઉં અને એક ચમચી ઘી લેવામાં આવશે. એક લાખ પરિવારોના ઘરેથી આવેલા ઘઉં અને ઘીમાંથી મહાયજ્ઞના દિવસે લાપસીનો પ્રસાદ બનાવાશે. જે પ્રસાદ યજ્ઞમાં આવેલા તમામ લોકોને વિતરણ કરાશે. આ પ્રકારે પ્રસાદ તૈયાર કરવાનો મુખ્ય હેતુ સમાજના બધા જ પરિવારોને એક તાંતણે જોડવાનો છે.
સંયુક્ત પરિવારની સંસ્કૃતિ જળવાઈ રહેના હેતુથી આયોજન
ભક્તિ દ્વારા એકતાની શક્તિના મુખ્ય સૂત્ર સાથે ખોડલધામ પરિવાર માત્ર મંદિર જ નહીં પરંતુ લીડર યુનિવર્સિટીનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આજે લેઉવા પટેલ સમાજમાં દરેક ક્ષેત્રમાં લીડરની ખૂબ જ કમી છે તેથી ઉદ્યોગ હોય નોકરી હોય વ્યવસાય હોય કે રાજકીય ક્ષેત્ર હોય દરેક ક્ષેત્રમાં પ્રામાણિક અને ઉત્કૃષ્ટ લીડર તૈયાર થાય તે મુખ્ય હેતુ છે. તે ઉપરાંત પારિવારિક એકતા અને સંયુક્ત પરિવારની સંસ્કૃતિ જળવાઈ રહે આજે સમગ્ર દેશમાં સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે. ખોડલધામના સ્પષ્ટ વક્તા અને સ્વપ્નદ્રષ્ટા નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પરિવાર જોડવાનો મુખ્ય ઉદ્દેશ છે.
નવચંડી મહાયજ્ઞમાં 121 દંપતી જોડાશે
નવચંડી મહાયજ્ઞમાં 121 દંપતીઓ જોડાશે. દરેક દંપતી પરિવારને ખોડલધામ સાથે જોડશે. જે પરિવાર એવા હશે કે ખોડલધામ નિર્માણ માટે એક વાર જગ્યા એટલે કે 5 હજાર રૂપિયાનું દાન આપશે. નાના મોટા કોઈ ભેદભાવ રહે નહીં તે માટે દરેક વર્ગના પરિવાર પાસેથી વધુમાં વધુ 5 હજાર રૂપિયાનું જ દાન સ્વીકાર કરાશે. આવા બે લાખ પરિવારો જોડાશે. પ્રથમ તબક્કામાં એટલે કે યજ્ઞ હશે. ત્યારે 12100 પરિવારો જોડાયેલા હશે. પ્રથમ ચરણમાં જોડાયેલા બધા જ પરિવારો સો-સો પરિવારોને જોડવા માટેનો સંકલ્પ કરશે. યજ્ઞમાં આવેલા દરેક વ્યક્તિને સાક્ષી બનાવીને તેનું માન સન્માન કરાશે.
યજ્ઞના કાર્યક્રમોની રૂપરેખા
- 1 માર્ચ સવારે 8થી 8.30 દરમિયાન હવનમાં ભાગ લેનાર121 યજમાન દંપતીઓ રક્તદાન શિબિરનું દીપ પ્રાગટ્ય કરશે
- 8.30થી યજ્ઞ શાળામાં પ્રવેશ 9થી 12 હવન, બપોરે 12થી 1 પ્રસાદ ફલાહાર 1થી 2 બાળકોની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થશે
- 2થી 4 હવન, 4.30 કલાકે હવનની પૂર્ણાહુતિ
- 4.45 કલાકે હાજર રહેલા તમામ પરિવારો ખોડલધામ સાથે દરેક પરિવારોને જોડવા માટેનો સંકલ્પ કરશે
- પ્રદક્ષિણા કરીને બહાર નીકળતી વખતે પ્રસાદી, તેમને માતાજીનો ખેસ અર્પણ કરાશે