શિવવસેનાના પ્રમુખ ઉદ્ધન ઠાકરે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ બન્ને આમને સામને આવી ગયા છે. અગાઉ અમિત શાહે કહ્યું હતું કે જો પૂર્વ સાથી પક્ષો ગઠબંધન માટે તૈયાર ન હોય તો ભાજપ તેને લોકસભાની ચૂંટણીમાં પછાડશે. અમિત શાહના આ નિવેદનનો વળતો જવાબ આપતા શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે શિવસેનાને હરાવનારો હજુસુધી કોઇ જન્મ્યો જ નથી.
આ સાથે જ રામ મંદિર મુદ્દે પણ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી અને જણાવ્યું હતું કે શિવસેનાએ પોતાની યાત્રામાં અનેક લહેર જોઇ છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલાની મોદી લહેરના ભાજપના દાવા મુદ્દે ટોણો મારતા ઉદ્ધવે આ નિવેદન કર્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા જ શિવસેનાએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે જેથી એ લોકોને ખુલ્લા પાડી શકાય કે જેઓ હંમેશા ચૂંટણી પહેલા જ રામ મંદિરનો મુદ્દો લઇને આવી જાય છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે દાવો કર્યો હતો કે કોંગ્રેસ રામ મંદિર બનાવવામાં અડચણ ઉભી કરી રહી છે. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે અમને જણાવો કે કોંગ્રેસ રામ મંદિર બનાવવામાં કઇ રીતે અડચણ ઉભી કરી રહી છે?
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપના સહીયોગી પક્ષો જદ(યુ) અને રામવિલાસ પાસવાનના પક્ષ રામ મંદિર નિર્માણનો વિરોધ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ ભાજપ આ મામલે મૌન છે, ભાજપે પોતાના આ સાથી પક્ષોના નિવેદન મુદ્દે પણ પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દેવું જોઇએ કે આવી સ્થિતિમાં તે રામ મંદિરનું નિર્માણ કેવી રીતે કરશે? ઠાકરેએ સાથે દાવો કર્યો હતો કે રામ મંદિર પણ ભાજપનો એક જુમલા જ છે. કેમ કે ભાજપ જ નથી ઇચ્છતી કે રામ મંદિર બને અને તેથી જ કોંગ્રેસ પર અડચણ ઉભી કરવાના આરોપ લગાવી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ સાથે અમિત શાહ પર પણ પ્રહારો કરતા જણાવ્યું હતું કે મે સાંભળ્યું છે કે કોઇ શિવસેનાને પછાડવાની વાત કરતું હતું પણ તેમને હું જણાવવા માગુ છું કે શિવસેનાને પછાડનારું કોઇ આ ધરતી પર જન્મ્યુ નથી.